ગીર સોમનાથ જિલ્લામાં આજે ૯૫૯ આવાસોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    રાજ્યના નાગરિકોને ઘરરૂપી છત્ર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડિસા ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમ સાથે રાજ્યભરના જિલ્લાઓમાં પણ આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવાના છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ચાર સ્થળોએ આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત યોજાશે.

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં સવારે ૧૧.૦૦ કલાકે કે.સી.સી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૧૮૦, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ૭૬, આંબેડકર આવાસ યોજનાના ૭, પંડિત દિન દયાળ આવાસ યોજનાના ૫ એમ કુલ ૨૬૮ આવાસોનું ઈ-લોકાર્પણ કરાશે.

જ્યારે પ્રાચીમાં કારડિયા રાજપૂત સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૨૨૦, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ૭૦, આંબેડકર આવાસ યોજનાના ૬ એમ કુલ ૨૯૬ આવાસોનું લોકાર્પણ થશે. અને માર્કેટિંગ યાર્ડ કોડિનાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૧૦૦, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ૩૪, આંબેડકર આવાસ યોજનાના ૩ એમ કુલ ૧૩૭ આવાસોનું ઈ-લોકાર્પણ કરાશે. 

આ ઉપરાંત, ઉનામાં રાવણાં વાડી, ત્રિકોણબાગ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૨૧૨, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ૩૬, આંબેડકર આવાસ યોજનાના ૧૦ એમ કુલ ૨૫૮ આવાસોના ઈ-લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થશે.

સમગ્રતયા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ૨૧૬, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૭૧૨, આંબેડકર આવાસ યોજનાના ૨૬, પંડિત દિનદયાળ આવાસ યોજનાના પ મળી કુલ ૯૫૯ આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વધુમાં વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ નિહાળી આવાસ યોજનાઓના ઈ- લોકાર્પણ તથા ખાતમુહૂર્તના સાક્ષી બને તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment